127
સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત. 
1 જો યહોવા ઘર ન બાંધે તો; 
બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, 
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; 
ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે! 
2 જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી 
સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી, 
કારણકે તે તેમને ચાહનારા 
પ્રત્યેકને આરામ આપે છે. 
3 બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. 
તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે. 
4 યુવાવસ્થામાંના પુત્રો તો; 
બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. 
5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે. 
જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે 
ત્યારે તે પરાજ્જિત નહિ થાય. 
કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.