યહૂદિ આગેવાનો દ્વારા ઈસુની કસોટી 
(માર્ક 8:11-13; લૂક 12:54-56) 
16
1 ફરોશીઓ અને સદૂકીઓ ઈસુની કસોટી કરવા આવ્યા. તેઓએ તેને પૂછયું, જો તને દેવે મોકલ્યો છે તો અમને કોઈ પરાક્રમ કરી બતાવ. 
2 ઈસુએ ઉત્તર આપ્યો, “સૂર્યાસ્ત સમયે તમે જાણો છો કે હવામાન કેવું થવાનું છે અને આકાશ રતૂમડું છે તો તમે કહેશો કે હવામાન સારું હશે. 
3 અને સુર્યોદય સમયે આકાશ લાલ અને ઘેરાયેલું હોય તો તમે કહેશો કે આજે હવામાન તોફાની હશે. તમે આકાશના ચિન્હો સમાજી શકો છો ખરા,પણ વતૅમાન સમયના ચિન્હો તમે પારખી શકતા નથી. આજની દુષ્ટ અને વ્યભિચારી પ્રજા પરાક્રમોની એંધાણી માગે છે. 
4 આજની દુષ્ટ અને અવિશ્વાસી પેઢી એંધાણીની રાહ જુએ છે પણ તેઓને યૂનાના ચિન્હ સિવાય બીજુ કોઈ ચિન્હ અપાશે નહિ.” પછી ઈસુ તે જગ્યા છોડીને ચાલ્યો ગયો. 
ઈસુ યહૂદિ આગેવાનોથી સાવધ રહેવા જણાવે છે 
(માર્ક 8:14-21) 
5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા. 
6 ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી સાવધ રહો.” 
7 શિષ્યોને લાગ્યું કે, “તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા છે તેથી ઈસુ આવું કહે છે?” 
8 ઈસુએ શિષ્યોને વિચાર જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી લોકો, તમે શા માટે કોઈ રોટલી નહિ હોવાની ચર્ચા કરો છો? 
9 શું તમે હજી પણ સમજતા નથી? તમને યાદ છે કે ફક્ત પાંચ રોટલીથી મેં 5,000 માણસોને જમાડ્યા હતા અને તેમના જમ્યા પછી કેટલી બધી રોટલી વધી હતી? 
10 અને યાદ કરો કે, સાત જ રોટલીઓથી 4,000 માણસોને જમાડ્યા હતા. અને તેમના જમ્યા પછી પણ તમે કેટલી બધી ટોપલીઓમાં રોટલી ભરી હતી? 
11 હું ખોરાક સંબંધી કહું છું એવો વિચાર જ તમને કેમ આવ્યો? તમે કેમ સમજતા નથી? પણ ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી તમે સાવધાન રહો.” 
12 આખરે શિષ્યો સમજ્યા કે ઈસુ તેમને રોટલીના ખમીરથી સાવધ રહેવાનું કહેતો ન હતો, પરંતુ ઈસુ તેમને ફરોશીઓ અને સદૂકીઓના ઉપદેશથી સાવધ રહેવાનું કહેતો હતો. 
પિતર કહ્યુ, ઈસુ તે ખ્રિસ્ત છે 
(માર્ક 8:27-30; લૂક 9:18-21) 
13 જ્યારે ઈસુ કૈસરિયા ફિલિપ્પી પ્રદેશમાં આવ્યો તો તેણે તેના શિષ્યોને પૂછયું કે, “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?” 
14 શિષ્યોએ કહ્યું, “કેટલાક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા લોકો કહે છે કે, તું એલિયા છે. થોડા લોકો કહે છે તું યર્મિયા અથવા બીજા પ્રબોધકમાંનો એક છે.” 
15 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “તમે શું કહો છો, હું કોણ છું?” 
16 સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.” 
17 ઈસુએ ઉત્તર આપ્યો; “યૂના પુત્ર સિમોન તને ધન્ય છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાં બાપે તને એ જણાવ્યું છે. 
18 હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનું જોર ચાલશે નહિ. 
19 હું તને આકાશના રાજ્યની ચાવીઓ આપીશ. તું જેને પૃથ્વી પર બંધનકર્તા ગણશે તે જ આકાશમાં બંધનકર્તા રહેશે. અને પૃથ્વી પર તું જે બંધનકર્તા નથી તેમ જાહેર કરીશ તે આકાશમાં બંધનકર્તા થશે નહિ.” 
20 પછી તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને ચેતવણી આપી. 
ઈસુના મરણની આગાહી 
(માર્ક 8:31-9:1; લૂક 9:22-27) 
21 પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે. 
22 પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!” 
23 ઈસુ પિતર તરફ ફર્યો અને કહ્યું, “અરે શેતાન, તું મારાથી દૂર ચાલ્યો જા; તું દેવની રીતે નહિ પણ માણસની રીતે વિચારે છે.” 
24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાની જાતને ભૂલી જઈ તેણે પોતાની વધસ્તંભ ઊઠાવીને મારી પાછળ ચાલવું પડશે. 
25 જે માણસ પોતાનું જીવન બચાવવા ઈચ્છે, તે પોતાનું જીવન ગુમાવશે, પણ મારે લીધે જે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. 
26 જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 
27 માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, તો તે સમયે તે પ્રમાણે તેનો બદલો આપશે. 
28 હું તમને સત્ય કહું છું, અહીં ઊભેલામાંથી કેટલાક લોકો માણસના દીકરાને તેના રાજ્ય સાથે આવતો જુએ ત્યાં સુધી જીવતા રહેશે.”