પલિસ્તીઓ માટે યહોવાનો સંદેશ 
47
1 જ્યારે ફારૂન અને મિસરનું સૈન્ય ગાઝા પર ચઢી આવ્યું તે પહેલા, યહોવાએ પ્રબોધક યમિર્યા દ્વારા પલિસ્તીઓ માટે આ સંદેશો મોકલ્યો. 
2 આ યહોવાના વચન છે, 
“ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે 
અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે. 
તે તેઓનાં નગરો તથા 
તેમાનાં સર્વસ્વનો નાશ કરશે. 
શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે 
અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે. 
3 ઘોડાઓના દાબડાનો અવાજ 
અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને 
કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે 
કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. 
4 કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે, 
જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે, 
જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ. 
યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે. 
5 ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે, 
અને ખંડેર બની જશે. 
અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો! 
6 “હે યહોવાની તરવાર, 
તું ક્યારે શાંત થઇશ? 
ફરી તું મ્યાનમાં પાછી જા 
અને આરામ કર અને શાંત રહે! 
7 પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી 
એ આરામ શી રીતે કરે? 
કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની 
તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”