નવું ઇસ્રાએલ 
31
1 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.” 
2 અને યહોવા કહે છે, 
“જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે, 
તેઓને અરણ્યમાં કૃપા મળી.” 
3 ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી, 
ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં. 
હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું, 
એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું. 
4 હું તને ફરીથી પર ઉઠાવીશ 
અને તું પાછી ઊભી થશે. 
ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ 
અને આનંદથી નાચવા લાગીશ. 
5 તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે, 
ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે. 
6 એવો દિવસ જરૂર આવી રહ્યો છે. 
જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે, 
‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ, 
આપણા દેવ યહોવાને દર્શને જઇએ.’” 
7 યહોવા કહે છે, 
“યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ, 
મહાન કોમ માટે જયજયકાર કરો. 
તેથી મુકતકંઠે સ્તુતિગાન કરીને કહો, 
‘દેવ યહોવા તારા લોકોને 
ઇસ્રાએલના અવશેષને બચાવ.’ 
8 હું તેઓને ઉત્તરમાંથી લાવીશ, 
ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. 
હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને, 
ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી 
સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું. 
તેઓ એક મોટા સમુદાયની 
જેમ અહીં પાછા ફરશે. 
9 હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ 
રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે. 
હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે 
થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ, 
કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું 
અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે. 
10 “હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો, 
અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો. 
‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા 
તે પોતે જ તેમને એકત્ર કરશે 
અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’ 
11 કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે, 
ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે. 
12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, 
અને યહોવાએ આપેલા ધાન્ય, 
દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી 
સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. 
તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે 
અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે. 
13 ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; 
કારણ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, 
હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હષિર્ત કરીશ, 
કારણ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે. 
14 હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. 
અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.” 
15 યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું, 
“રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે, 
રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે. 
તેને સાંત્વન આપી શકાય તેમ નથી. 
કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.” 
16 પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો, 
આંસુ લૂછી નાખો, 
તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, 
તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે. 
17 તારા ભવિષ્ય માટે આશા છે; 
તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે,” 
એમ યહોવા કહે છે. 
18 “મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, 
‘તમે મને સખત સજા કરી છે; 
પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે 
તેમ મને પણ સજાની જરૂર હતી, 
મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, 
કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો. 
19 મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, 
ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી; 
હું લજ્જિત અને અપમાનિત થયો છું, 
કારણ કે, જ્યારે હું જુવાન હતો 
ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.’” 
20 યહોવા કહે છે, 
“હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે! 
તું મને વહાલો છે! 
હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું, 
અને મારું હૃદય તને ઝંખે છે. 
હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ. 
21 “જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર. 
અને માર્ગદર્શક સ્તંભો બનાવ. 
તું જે રસ્તે ગઇ હતી 
તે બરાબર ધ્યાનમાં રાખ. 
કારણ કે હે ઇસ્રાએલની કુમારી, 
તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે. 
22 હે જક્કી ભટકી ગયેલી દીકરી, 
તું ક્યાં સુધી અવઢવમાં રહીશ? 
“કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે. 
કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.” 
23 આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’ 
24 “અને યહૂદિયા તથા તેના બધા ગામોમાં ખેડૂતો અને ભરવાડો ભેગા રહેશે. 
25 હાં, હું થાકેલા જીવને વિશ્રામ આપીશ અને જેઓ નબળા થઇ ગયા છે તેમને મજબૂત બનાવીશ.” 
26 ત્યારબાદ યમિર્યા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.” 
27 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ. 
28 ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” આ યહોવાના વચન છે. 
29 “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે, 
‘પિતૃઓના પાપની કિમત 
તેઓનાં બાળકો ચૂકવે છે.’ 
30 કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.” 
નવો કરાર 
31 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 
32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે. 
33 “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે. 
34 તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે. 
યહોવા ઇસ્રાએલને કદી નહી છોડે 
35 “જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય 
અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, 
જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, 
જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.” 
તે કહે છે: 
36 “જો મેં કુદરતમાં સ્થાપેલી વ્યવસ્થા લોપ પામે તો જ ઇસ્રાએલનો વંશ 
પણ મારી પ્રજા તરીકે લોપ પામી શકે છે. 
37 “જો ઉપરનું આકાશ માપી શકાય 
અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય, 
તો જ હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે 
તે માટે તિરસ્કાર કરી શકું.” 
આ યહોવાના વચન છે. 
નવું યરૂશાલેમ 
38 યહોવા કહે છે, “સમય આવી રહ્યો છે કે જ્યારે યરૂશાલેમ મારા નગર તરીકે હનામએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે. 
39 તે સરહદ પસાર કરીને આગળ જશે. તે ઠેઠ ગોરેબની ટેકરી સુધી જશે અને ત્યાથી દક્ષિણ તરફ વળીને ગોઆહ જશે. 
40 કિદ્રોનથી ઠેઠ ઘોડાના દરવાજા સુધી, સમગ્ર ખીણ અને દરેકે દરેક ખેતરને આ શહેરમાં સામેલ કરવામાં આવશે. જે યહોવા માટે પવિત્ર છે. અને આને ફરીથી કયારેય ઉખેડવામાં કે નાશ કરવામાં નહિ આવે.”