અયૂબનો જવાબ 
6
1 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો: 
2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે 
તોળી શકાય એમ હોત તો! 
3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત. 
મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે. 
4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. 
તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. 
દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે. 
5 જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી. 
જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી. 
6 મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય? 
અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે? 
7 હું તેને અડકવા નથી માગતો; 
એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું. 
8 “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે 
અને મારી આશા પૂરી કરે! 
9 મને થાય છે દેવ મને કચરી નાખે, 
જરા આગળ વધે અને મને મારી નાખે. 
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે, 
મને એક વાતની ખુશી થશે, 
કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી. 
11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં? 
અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું? 
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું? 
શું મારું શરીર પિત્તળનું બનેલું છે? 
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે 
મારી પાસેથી સફળતા લઇ લીધી છે. 
14 “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ, 
કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે. 
15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા. 
હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ; 
તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ. 
16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે. 
17 પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે, 
અને એમના પેટ સૂકાઇ જાય છે; 
18 વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે 
અને તેઓ અશ્ય થઇ જાય છે. 
19 તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે. 
શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે. 
20 તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે, 
પરંતુ તેઓ નિરાશ થયા હતા. 
21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી 
અને મને મદદ કરવાની ના પાડી હતી. 
22 મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું? 
23 શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો? 
હેરાન કરનારાઓથી મને મુકત કરો? 
પણ તમે મને મુકત રીતે તમારી સલાહ આપી.’ 
24 “મને કહો મેં શું પાપ કર્યુ છે? 
મને શીખવો અને હું તમને અટકાવીશ નહિ. 
25 સત્ય વચન ઘણાં અસરકારક હોય છે. 
પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી. 
26 શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો? 
પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે. 
27 અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે 
તમે કદાચ જુગાર પણ રમો એવા છો. 
અથવા તમારા મિત્રોના ભોગે નફો કરો છો. 
28 મારી સામે જુઓ! 
હું તમારી આગળ જૂઠું નહિ બોલું. 
29 આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો, 
આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી. 
30 તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું? 
સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”